ફોનની ઘંટડી વાગી. રિસીવર ઉપાડ્યું. સામેથી સવાલ પુછાયો, ‘હલ્લો! કોણ બોલે છે?’ ‘ડૉ. શરદ ઠાકર સ્પિકિંગ. તમે કોણ?’ ‘ડૉ. અનંતરાય ભટ્ટ. એનેસ્થેટિસ્ટ.’ ‘અરે, ભટ્ટસાહેબ! આપ?’ આટલું બોલતામાં તો હું ઊભો થઈ ગયો. ‘તમે’ની જગ્યાએ મારા હોઠો ઉપર આપોઆપ ‘આપ’ આવી ગયું. વાતચીતના પહેલા પગથિયે જે ઔપચારિકતા હતી ત્યાં આદરભાવ આવીને ગોઠવાઈ ગયો. શબ્દની કેવી અસર થતી હોય છે! પરિચયના શબ્દની! ઓળખાણના એક વાક્યમાંથી વ્યક્તિનો આખો આકાર ટપકી પડતો હોય છે. અત્યારે પણ અદ્દલ એમ જ થયું. ડૉ. અનંતરાય ભટ્ટ એ અમદાવાદની વિશાળ જનરલ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ હતા. વર્ષો થયાં એ વાતને. ત્યારે હું ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો. મારે ભટ્ટસાહેબની સાથે સીધા પનારામાં આવવાનું ભાગ્યે જ બનતું પણ એમની જાહોજલાલીનો હું સતત સાક્ષી હતો. અસંખ્ય જુનિયર ડૉક્ટરો એમના હાથ નીચે એનેસ્થેસિયાનું જ્ઞાન, તાલીમ અને માર્ગદર્શન મેળવીને ઊંટની વણજારની જેમ પસાર થઈ ચૂક્યા હતા. ડૉ. ભટ્ટસાહેબ ઓપરેશન થિયેટરમાં દર્દીના માથા પાસે ઊભા હોય એટલે ઓપરેશન કરતી વખતે અમને શાંતિ રહેતી હતી. એમના કામમાં એ કુશળ હતા, જ્ઞાની હતા અને અનુભવી હતા. એમનો ફોન આજે મારા ઉપર ક્યાંથી?
‘ગુડ આફ્ટર નૂન, સર! આઈ ફીલ ઓબ્લાઇજ્ડ બાય યોર ફોનકોલ. વેરી નાઇસ ટુ હીયર ફ્રોમ યુ, સર!’ હું એક પછી એક વિવેકભર્યાં વાક્યો બોલ્યે જતો હતો અને છતાં પણ મને લાગતું હતું કે મારા શબ્દોમાં ભટ્ટસાહેબ પ્રત્યેના આદરભાવને પૂરેપૂરો સમાવી શકવા જેટલું પોલાણ ન હતું. ‘ફરમાવો, સર! હુકમ કરો! હું આપને માટે શું કરી શકું?’ મેં પૂછી તો નાખ્યું, પણ પછી તરત જ મારી છાતી ધડકી ઊઠી. આ મારાથી શું બોલાઈ ગયું? આ જ શબ્દો આજથી પંદરસત્તર વર્ષ પહેલાં આ જ ભટ્ટસાહેબ સમક્ષ હું બોલી ગયો હતો, અને પછી એમણે જે ‘હુકમ’ કરેલો એ અલબત્ત, હુકમ ન હોવા છતાં, વિનંતીના રૂપમાં મુકાયેલી વાત હોવા છતાં, હું સાહેબને માટે કશું જ કરી શક્યો ન હતો. મને એ ઘટના યથાતથ યાદ હતી. પંચ્યાશીની સાલ હતી.